આજે ‘ફાધર્સ ડે ‘ છે પિતા વિષે ની એક પોસ્ટ કેટ્લાક દિવસ પહેલાં મેં મુકી હતી એ ફરી એક વાર મુકી રહ્યો છું આશા રાખું ગમશે
શેષનાગનું માનવરૂપ
હરિદાસ વ્યાસ
વર્ષો પછી મેં અનુભવ્યું કે પિતા આકાશ હોય છે અને તપતા સૂરજને પોતાની પીઠ પર ઝીલી આપણને છાંયો આપે છે. વરસાંદમાં છત્રી અને ગરમીમાં ઠંડી હવાની લહેરખી બની આપણને સુરક્ષિત રાખે છે. એમનું ચાલે તો પોતાનાં બાળકો માટે લાકડાનો ઘોડો, સર્કસનો જોકર એટલે સુધી કે રંગબેરંગી ફુગ્ગો બની જવામાં પણ એમને સંકોચ નથી થતો. જોકે પોતાના આનંદની કોઇ પણ ક્ષણ હોય તેઓ આછા સ્મિતથી વધારે કોઇ પ્રતિભાવ નથી દર્શાવતા. આવી પળોમાં પિતા તરીકે એમનું વ્યક્તિત્વ અદ્ર્શ્ય થઇ જાય છે.
છતાં ક્યારેક એવું બને છે કે, માતાની સરખામણીમાં પિતાને હંમેશા ભૂલી જવાય છે. દૂર વસતાં બાળકો પત્ર લખે ત્યારે પત્રોમાં માંને પહેલું સંબોધન કરે છે. શાયદ પિતા માટે તો માત્ર થોડી લીટીઓજ લખાયેલી હોય છે, તો પણ બાળકોના પત્રમાં લખાયેલા એ થોડા શબ્દોને પણ તેઓ એકાંતમાં ઘણીવાર વાંચે છે. એ સમયે એમનો ચહેરો કદાચ અત્યંત દયામણો અને લાચાર લાગે છે, છતાં એકાંતમાં પણ પોતાના ચહેરા પરની રેખાઓ ભાવુકતાની ચાડી ન ખાઇ જાય એની નિષ્ફળ કોશિશ કરતાં રહે છે.
બાળકો મોટાં થતાં જાય છે એમ એમને લાડ લડાવવામાં પણ તેઓ ખચકાટ અનુભવે છે. ક્યારેક મોકો મળી જાય તો તેઓ ઘરમાં સૂતેલાં બાળકોને પોતાની આંગળીઓથી પંપાળે છે, નમીને એમના કપાળને ચૂમે છે. એવામાં બાળક જો સળવળ્યું તો સંકોચાઇને એ એવા દૂર ખસી જાય છે, જાણે ક્યાંક ચોરી કરતાં પકડાઇ ગયા હોય!
સરકાર દ્વારા સન્માનિત થવા છતાં પણ પોતાનાં બાળકો માટે તેઓ હંમેશ એક નિષ્ફળ શિક્ષક ગણાય છે. ઓફીસ કે સરકારી ખાતું બાહોશીથી ચલાવવા છતાં ઘરના મોભી તરીકે પિતા મીંડું જ સિદ્દ થાય છે. કયારેક વળી પત્ની બે ચાર દિવસ માટે એકલી જ કોઇ સંબંધીને ત્યાં જાય છે ત્યારે તેઓ જીવ રેડી પોતાનાં બાળકો માટે મા અને પિતા બંનેની ભૂમિકા નિભાવવા તત્પર થઇ જાય છે. રસોડામાં ઘૂસી નવા પ્રયોગ કરવા લાગે છે, બાળકોનાં પુસ્તક-કપડાં વગેરે ઉત્સાહથી વય્વસ્થીત કરે છે. આ બધાં કામને કારણે એ દિવસોમાં તેઓ ઓફીસ મોડા પહોંચી બોસનો ઠપકો સાંભળે છે, પણ ઘરે આવતાં જ એ બધું ભૂલીને ફરીથી બાળકો માટે કંઇક નવું સારું કરી છૂટવાની કવાયતમાં લાગી જાય છે. પછી પત્ની જ્યારે પાછી ફરે છે ત્યારે બાળકો પિતાની ઘણી હાસ્યાસ્પદ કોશિશોની મજાક ઉડાવી પોતાની માને સંભળાવે છે, કદાચ થોડા સમય માટે ખોટું પણ લાગે છતાં પોતે પણ એ વાતને હસી નાખે છે. માની ગેરહાજરીમાં ભૂલમા પણ સ્વાદિષ્ટ બની ગયેલી કોઇ વાનગીના કે દીવાનખાનાની નવી ગોઠવણીના બાળકો મા આગળ ક્યારેક વખાણ કરી બેસે ત્યારે પિતાના હ્રદયમાં ઊઠતા ભાવ એમનો ચહેરો ક્યારેય દર્શાવી નથી શકતો.
ઘરબહાર પિતા ઘણીવાર હેરાન-પરેશાન અને હતાશ-નિરાશ થાય છે પણ ઘરમાં પગ મૂકતાંની સાથે જ પોતાના પર એક ખુશમિજાજી માણસ અને વિજયી યોદ્દાનું કવચ ચઢાવી લે છે. કોઇકોઇ વાર તેઓ પોતાની પત્ની સાથે પોતાના પરાજયના દુઃખને વહેંચવાની કોશિશ પણ કરે છે પણ થોડીજ વારમાં એ પત્નીના મોંઢે કહેવાતી બાળકો, બહેનપણીઓની કે સગાંસંબંધીઓની વાતો પર હા-હં કરતા દેખાય છે. પત્ની પાછી એ વાતો કરતી કરતી નિરાંતે સૂઇ જાય છે અને પોતે સાંભળેલી વાતો અને ન કહી શકાયેલી વાતો વાગોળતા જાગતા પડી રહે છે. ઘરમાં જ્યારે પણ કોઇ મુદ્દે ચર્ચા છેડાય છે ત્યારે ઘરના બાકી બધા લોકો એક તરફ અને પિતા બીજી તરફ એકલાઅટૂલા ઊભા હોય છે. ઘર અને બાળકોને લગતા તમામ નિર્ણયોમાં પણ એ લઘુમતીમાં હોય છે. ટૂંકમાં બહુ ઓછીવાર કોઇ એમની સાથે સહમત થાય છે. બાળકોના મોટા મોટા નિર્ણયોમાં પોતાની અનુમતિ ન હોવા છતાં અને એથી પોતે ખીજાયેલા હોવા છ્તાં તેઓ બાળકોની ઇચ્છા પૂરી કરવા મથે છે. વિધિની વક્ર્તા એ છે કે આમ છતાં બાળકોની ઇચ્છામાં આડે આવવામાં સૌથી મોખરે તેઓ જ ખટકતા દેખાય છે. બાળકો ખાતર ઘણો પરિશ્રમ વેઠવો પડતો હોવા છતાં તેઓ એને છુપાવવામાં જ માને છે. બાળકોની સફળતા અર્થે મનોમન ઇશ્વરને સ્મરતાં-વિનવતાં રહે છે.
બાળકોને લગતી કોઇ પણ ખબર પિતા પાસે લગભગ ‘સેકન્ડ-હેન્ડ’જ આવતી હોય છે. શરૂશરૂમાં એમને માઠું પણ લાગતું હોય છે, પણ પછી એ ખોટું લગાડવાનું છોડી એ સમાચારો અનુસાર સુખી કે દુખી થવાનું શીખી જાય છે. ખરી રીતે પિતા શેષનાગ જેવા હોય છે. એમણે આ પરિવાર રૂપી પ્રુથ્વીને પોતાના માથે હાલકડોલક થયા વગર, થાકયા વગર અને સતત સંતુલન જાળવી ઊંચકી રાખવાની હોય છે. થાકીને જરાઅમથું પણ માથું હલાવી દે તો તરત જ આખાય પરિવારમાં હાહાકાર મચી જાય છે. ત્યારે ધ્રૂજી ઉઠેલા કુટુંબને જોઇ પોતાના થાકની વાત કોઇને પણ કહ્યા વગર, ફરીથી ક્યારેય પાછા ન થાકવાનો નિર્ણય કરી પોતાના કર્તવ્યમાં પાછો જોડાઇ જાય છે
સરસ લેખ. હવે ‘ફાધર’ તરફ પણ ધ્યાન અપાતું થયું છે. આનંદની વાત છે.
જયેશ ભાઇ મારો પ્રતિભાવ પણ રીપીટ કરું છું – સરસ લેખ
તમે જેમ કહ્યું તેમ પિતા આકાશ છે,પિતાએ સમયે સમયે વર્ષવાનું, પછી ભૂલી જવાનું.માતા ધરતી છે,ફૂલેફલે ,ખીલે,હરીયાળી તો બધી ધરતી પર જ દેખાવાની,ઝરણાઓ ધરતી પર જ વહેવાના.પિતાએ સાગરમાં આકાશનું જે પ્રતિબીંબ પડે તે જોઇ ને,સાગર જેવડું મન રાખી ને ખુશ રહેવાનું. કદાચ જીવનનું આ સત્ય સ્વિકારવું રહ્યું .
v.nice… !!